Sunday 15 December 2013

દૈવી પાંખો

પરદેશના એક રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક વખત દાવાનળ ફાટી નીકળ્યો. સેંકડો કિલોમીટર્સમાં ફેલાયેલાં વૃક્ષો, છોડવાઓ તેમજ ઘાસ બળીને ભસ્મ થઈ ગયાં. આગને ઠારતાં પણ થોડાક દિવસો લાગી ગયા. આગ સંપૂર્ણપણે ઠરી ગઈ પછી એ વિસ્તારના રેન્જ ફોરેસ્ટ આફિસર પોતાના માણસો સાથે વન્ય જીવોની કેટલી ખુવારી થઈ છે તેનો અંદાજ લગાવવા માટે નીકળ્યા. એક પર્વત પર ચડતાં એમણે એક વિચિત્ર દ્શ્ય જોયું. બળીને સાવ ઠૂંઠા થઈ ગયેલા એક ઝાડ નીચે એક વિશાળ પક્ષી ઊભાં ઊભાં જ સળગી ગયું હતું. જાણે કોલસો જ બની ગયું હતું. ફોરેસ્ટ આફિસરે પોતાની લાકડીથી એ પંખીને આડું પાડ્યું. જેવું પંખી આડું પડ્યું કે તરત એની પાંખ નીચેથી ચીં… ચીં… કરતાં ત્રણ નાનકડાં અને થોડાંક નબળાં પડી ગયેલાં બચ્ચાં નીકળી આવ્યાં. બધાના આશ્ર્ચર્ય વચ્ચે આટલી ભીષણ આગ વચ્ચે પણ એ જીવતાં રહ્યાં હતાં. એની માતાની પ્રેમાળ પાંખો નીચે એમને બરાબર રક્ષણ મળી શક્યું હતું. પેલી પક્ષી-માતાને ખબર જ હતી કે આગ બધે ફેલાવાની જ છે. આમેય પક્ષીઓને તો આની આગોતરી જાણ થઈ જતી હોય છે. એ ધારત તો ઊડીને દૂર પણ જઈ શકી હોત, પરંતુ પોતાનાં બચ્ચાંને નોધારાં છોડી દેવાને બદલે એણે એમને પોતાની પાંખો નીચે ગોઠવી દીધાં હશે. જ્યારે અગ્નિની ઝાળ એને અડકી હશે ત્યારે પણ એ જરાક પણ હલી નહીં હોય, કારણ કે જો એ હલી જાય તો પાંખ નીચેથી બચ્ચાં બહાર આવી જાય. એ એમ જ ઊભાં ઊભાં જ સળગી ગઈ હશે. એનો નિશ્ર્ચય કેવો દ્ઢ અને અડગ હશે ? એણે નક્કી કરી જ લીધું હશે કે એને મરવાનું જ છે, કારણ કે નાનકડી ત્રણ જિંદગીઓને હજુ જીવવાનું બાકી હતું…